
ગીર સોમનાથ, 17 સપ્ટેમ્બર (હિ.સ.) : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય, સોમનાથ દ્વારા ભાલકા મંદિર પાસે આવેલા બ્રહ્માકુમારીજ પરિસરમાં “આવો, આર્શીવાદના દિવ્ય દીપ પ્રગટાવીએ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં 108 દિવ્ય દીપોની મહાઆરતી કરવામાં આવી. કાર્યક્રમની શરૂઆત રાજયોગ ધ્યાન અને પરમાત્મા સ્મૃતિથી થઈ, જેમાં ઉપસ્થિત સૌએ આંતરિક શાંતિ, સકારાત્મકતા અને પવિત્રતાનો અનુભવ કર્યો.
108 દીપોને આશા, ઉમ્મીદ, શાંતિ, સુખ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને સદભાવનાના પ્રતીક તરીકે પ્રગટાવવામાં આવ્યા. આ પ્રસંગે દેશની શાંતિ, પ્રગતિ, જનકલ્યાણ તથા સર્વના સુખ માટે શુભ સંકલ્પ કરવામાં આવ્યા.
મહાઆરતીના પાવન વાતાવરણમાં સૌએ પરમાત્મા શિવને યાદ કરી પોતાના જીવનમાં આધ્યાત્મિક પ્રકાશ પ્રગટાવવાનો અને સમાજમાં શાંતિ તથા સદભાવનાનો સંદેશ ફેલાવવાનો સંકલ્પ કર્યો.
કાર્યક્રમનું સમાપન સામૂહિક શુભભાવના અને પ્રસાદ વિતરણ સાથે થયું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ