



કચ્છ, 18 સપ્ટેમ્બર (હિ.સ.) : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે દેશભરમાં ચાલી રહેલા ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત ભુજમાં પણ સેવાભાવ અને જનભાગીદારીનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. શહેરના સ્મૃતિવન ખાતે યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં હજારો દીવડાઓ પ્રજ્વલિત કરવામાં આવતા સમગ્ર પરિસર દીપપ્રકાશથી ઝળહળી ઊઠ્યું હતું.
સ્મૃતિવન ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, કચ્છ ભાજપ પ્રમુખ દેવજી વરચંદ સહિત શહેરના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મોટી સંખ્યામાં શહેરીજનો, વિદ્યાર્થીઓ તેમજ વેપારીઓએ પણ કાર્યક્રમમાં જોડાઈને દીવડાઓ પ્રજ્વલિત કર્યા હતા. જેના કારણે સ્મૃતિવનનો નજારો સાંજના સમયે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત લોકોએ સમાજ અને શહેરના વિકાસમાં પોતાની જવાબદારી નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. ખાસ કરીને સ્વચ્છતા જાળવવા, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અને સમાજસેવાની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગીદારી નોંધાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. સેવા અને સ્વચ્છતાને જનઆંદોલનનું સ્વરૂપ આપવા માટે સૌએ સાથે મળીને સંકલ્પ લીધો હતો.
હજારો દીવડાઓની રોશની વચ્ચે સ્મૃતિવનનું સમગ્ર પરિસર જાણે પ્રકાશના પર્વમાં પરિવર્તિત થઈ ગયું હતું. દીવડાઓની ઝગમગાટ સાથે ઉપસ્થિત લોકોમાં પણ ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાતા ‘સેવા સંકલ્પ અભિયાન’ને જનભાગીદારી સાથે આગળ વધારવાનો પ્રયાસ જોવા મળ્યો હતો.
આ સમગ્ર આયોજન દરમિયાન સેવાભાવ, સ્વચ્છતા અને સામૂહિક જવાબદારીનો સંદેશ મુખ્ય રહ્યો હતો. સ્મૃતિવનમાં પ્રજ્વલિત થયેલા દીવડાઓ માત્ર પ્રકાશનું માધ્યમ નહીં પરંતુ સેવા અને સંકલ્પના પ્રતીક તરીકે પણ ઉપસ્થિત લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. રોશનીથી ઝળહળતું સ્મૃતિવન ભુજવાસીઓ માટે યાદગાર દૃશ્ય બની રહ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar